રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર, નાયબ કાર્યપાલક ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીએ મેળવી હતી. આ રોડને મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક અને પટ્ટા કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ ૧૧૮.૦૯ કરોડ રૂ. ના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીએ અધિકારીઓને આપી હતી.
આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકીદે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ ફાટક ઉપર ૮૦ કરોડ રૂ. ના ખર્ચે ઓવર બ્રિજ અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ ૮૦ કરોડ રૂ. ના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત ૨૫ કરોડ રૂ.ના ખર્ચે સ્ટાફ કવાર્ટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ ૪૦ કરોડ રૂ.ના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને ફોલોઅપ પણ મેળવવામાં આવીરહ્યું છે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું. આમ મોરબી-માળિયામાં તબકકાવાર વિકાસ કામોને નકકર દિશા આપી શકાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને મંત્રીએ તાકીદ કરી હતી.
No comments:
Post a Comment